એશિયાઈ સિંહોના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જે ગીર જંગલ સફારી 16 ઓક્ટોબરના રોજ ખુલ્લો મુકવામાં આવે છે તેને આ વર્ષે એક સપ્તાહ વેહલો આજે એટલે કે 7 ઓક્ટોબરથી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવાનો નિર્ણય કરાયો છે, ત્યારે સાસણ સફારી પાર્કમાં આજથી સિંહ દર્શન કરી શકશો. આ માટે તમે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગથી લઈને સિંહ દર્શનની મુલાકાતના સ્લોટની તમામ મહિતી અહીં મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, ગીર જંગલમાં સિંહ દર્શન માટે આવતાં દેશ-વિદેશના પ્રવાસીઓને ઓનલાઈન પરમિટ બુકિંગમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેમાં ચોક્કસ આઇડીથી પરમિટનું એડવાન્સ બુકિંગ કરાય છે, ત્યાર બાદ કેન્સલ કરી ખાલી પડેલી પરમિટ બ્લેકમાં વેચવામાં આવે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ સફારી પાર્ક વહેલો કેમ ખુલ્લો મુકાયો?
વન વિભાગના અધિકારી મોહન રામ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવાયું હતું કે, હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધીના 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચાડવા અને ચોમાસાના કારણે ધોવાઈ ગયેલા જંગલના રસ્તાઓની જાળવણી અને સમારકામ માટે જરૂરી હોય છે. જોકે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માગને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણની મુલાકાત લેશે
વન વિભાગના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગીર સફારી પાર્ક વહેલો ખોલવા પાછળ એક મોટું કારણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લેવાનો બની રહ્યો છે. સંભવિત પ્રોટોકોલ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સત્તાધીશો દ્વારા પાર્ક વહેલો ખુલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ
અધિકારી મોહન રામે પ્રવાસીઓને રાહત આપતા જણાવ્યું હતું કે, સિંહ દર્શન માટે આવતા તમામ પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને સિંહ દર્શન માટેનું ઓનલાઈન બુકિંગ પણ ત્યાંથી જ કરાવી શકશે. વહેલો પાર્ક ખુલવાથી પ્રવાસીઓને દિવાળીના તહેવારો પહેલાં જ સિંહ દર્શનનો લાભ મળશે. સિંહોની સંખ્યા 700નો આંકડો વટાવે તેવી પ્રબળ સંભાવના
ગીર નેચર સફારી પાર્ક માત્ર સિંહ માટે જ નહીં પરંતુ તેની વિશિષ્ટ જૈવવિવિધતા માટે પણ જાણીતું છે. આ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લે 2020માં 674 સિંહ નોંધાયા હતા અને હવે ટૂંક સમયમાં જ 2025ની સિંહ ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં સિંહોની સંખ્યા 700નો આંકડો વટાવે તેવી પ્રબળ સંભાવના છે. પ્રવાસીઓ કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે
ગીરની વનરાજીમાં સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી બિલાડી જેવા અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે. વળી, પક્ષીપ્રેમીઓ માટે ગીર એક સ્વર્ગ સમાન છે, જ્યાં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં દુર્લભ ગીધ અને માળીયા હાટીનાના હરણોનો સમાવેશ થાય છે. આ વર્ષે સારો વરસાદ થતા જંગલની સુંદરતા વધુ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓ નવી ઊર્જા સાથે કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે.​ ગિરનાર સફારી પાર્ક પણ ખુલ્લો મુકાયો
સાસણ ગીર નેચર સફારી પાર્કની જેમ જ જૂનાગઢ નજીક આવેલો ગિરનાર સફારી પાર્ક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતાં વન વિભાગે પ્રકૃતિ અને પર્યાવરણ વિશે પૂરતી માહિતી મળી રહે તે માટે અલગ-અલગ ભાષાના તાલીમબદ્ધ ગાઈડ મૂક્યા છે, જેથી પ્રવાસીઓ પોતાની પસંદગી મુજબ ગાઈડ પસંદ કરી જંગલની રોમાંચક માહિતી મેળવી શકે. જંગલ વિસ્તારના રસ્તાઓ પણ રીપેર કરી દેવાયા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!