
સુરત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે પરંતુ આજે તેઓએ કેટલાક શાસકોને મુંઝવતા પ્રશ્નો રજુ કરીને કેટલાક મુદ્દે બોલતી બંધ કરી દીધી હતી. સુરત પાલિકાને સરકારે આપેલી ગ્રાન્ટનું ઓડિટ થતું નથી તેમાં પણ કડદો થાય છે ? તેવો પ્રશ્ન પૂછ્યો હતો અને ઓડિટ થતું ન હોવાનો રિપોર્ટ વિપક્ષનો નહી પરંતુ સરકારના જ એક વિભાગનો છે તેમ કહ્યુ હતું. આ ઉપરાંત રોડ અકસ્માત બાદ રાતો રાત રોડ રીપેર થઈ ગયો જો તે પહેલા થયો હોત તો કોઈનો જીવ ગયો ન હોત તેવી વાત પણ કરી હતી.
થોડા સમય પહેલા સુરતમાં ખરાબ રોડના કારણે એક અકસ્માત થયો હતો તેમાં એક બાળકીનું મોત થયું હતું. આ મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ વિપક્ષ લાશ પર રાજનીતિ કરે છે તેવી વાત કરી હતી.
