અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પટેલ ડેરી નજીક જાહેર રોડ ઉપર બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાને કારણે 16 વર્ષની સગીરાનું મૃત્યુ થયું છે. ત્રણ સગીર દ્વારા જાહેર રોડ ઉપર લોખંડની પાઇપમાં ફટાકડા મૂકી બે પથ્થરો વચ્ચે પાઇપ ઊભી રાખી ફટાકડા ફોડવા જતા હતા, જોકે પાઇપ આડી પડી ગઈ હતી અને પાઇપ સીધી 50 ફૂટ દૂર રોડ ઉપર ઊભેલી 16 વર્ષીય સગીરાના કપાળમાં વાગી હતી. ત્યાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી સગીરાને હોસ્પિટલ લઈ જતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ સમગ્ર બાબતે સગીરાના પિતાએ એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પડતર દિવસના દિવસે રાત્રિના સમયે બનાવ
મળતી માહિતી મુજબ, ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે આવેલા મેઘા આર્કેડમાં રહેતી 16 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી અને નેશનલ સ્કૂલમાં 11માં ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. 21 ઓક્ટોબરના રોજ પડતર દિવસના દિવસે રાત્રિના સમયે સગીરાનાં પરિવારજનો ૐ કુંતેશ્વર મહાદેવ મંદિર સામે રોડ ઉપર ઊભાં હતાં અને ફટાકડા ફોડી રહ્યાં હતાં. આ દરમિયાનમાં સગીરા તેની મિત્ર સાથે ચાલતાં ચાલતાં સોસાયટી નજીક આવેલી પટેલ ડેરી પાર્લર પાસે ગઈ હતી. સગીરાના માથામાં ઈજા
બંને રોડ ઉપર ઊભા હતા એ દરમિયાન ફટાકડો સગીરાના માથામાં વાગ્યો હતો, જેથી બૂમાબૂમ થઈ હતી અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. માથામાં કપાળના ભાગેથી લોહી નીકળતું હતું, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ગાડીમાં હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. આ ઘટના કેવી રીતે બની એ અંગે જ્યારે સગીરાના પિતાએ તેની મિત્રને પૂછ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે અમે બંને બહેનપણીઓ પટેલ ડેરી પાર્લર પાસે ઊભાં રહીને મોબાઇલમાં જોતાં હતાં. પાઇપ સ્પીડમાં સગીરાના કપાળના ભાગે આવી
તેણે વધુમાં તેના પિતાને કહ્યું હતું કે રાત્રિના પોણાબાર વાગ્યાની આજુબાજુ આપણી સોસાયટીમાં રહેતો સગીર અને તેની સાથેના મિત્રો સાથે ૐ કુંતેશ્વર મહાદેવ મંદિર સામે જાહેર રોડ ઉપર લોખંડ જેવી પાઇપમાં ફટાકડા ભરીને એને પથ્થરો વચ્ચે ઊભી કરી ફટાકડા ફોડતા હતા. તેવામાં પાઇપ ફોડવા જતાં પથ્થરો વચ્ચેથી આડી પડી ગઈ અને પાઇપ સ્પીડમાં સગીરાના કપાળના ભાગે આવી હતી, જેથી તે નીચે પડી ગઈ હતી અને માથામાંથી લોહી નીકળ્યું હતું. કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને બૂમાબૂમ કરી હતી. એક યુવક સહિત બે સગીર લોખંડ જેવી પાઇપમાં ફટાકડા ભરી બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા હતા
આ સમગ્ર બાબતે સગીરાનાં પરિવારજનોએ તપાસ કરતાં એક યુવક સહિત બે સગીર લોખંડ જેવી પાઇપમાં ફટાકડા ભરી બેદરકારીપૂર્વક પાઇપમાં ફોડતા હતા. પાઇપમાં ફટાકડા ફોડતી વખતે એ આડી પડી ગઈ અને એકદમ સ્પીડથી સગીરાના માથામાં વાગી ગઈ હતી. એ મામલે સગીરાના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સગીરા ભરતનાટ્યમમાં ગુજરાતમાં ટોપ આવી હતી
મૃતક સગીરા ભરતનાટ્યમમાં ગુજરાતમાં ટોપ થયેલી છોકરી હતી અને નેશનલમાં જવાની હતી અને બારમા ધોરણમાં પણ ટોપ કરવાની તૈયારીઓ કરી રહી હતી. આવા કેટલાક યુવકોની પ્રવૃત્તિના કારણે તેને આજે જીવ ગુમાવવો પડ્યો છે. આ રીતે ફટાકડા ફોડવા માટે માતા-પિતાએ જ પોતાના છોકરાને સમજાવવા જોઈએ. લોખંડની પાઈપ વાગતાં સગીરાનું મોત થયું – પીઆઇ
સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જાહેર રોડ ઉપર ત્રણ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, જેમાં લોખંડમાં ફટાકડા મૂકીને ફોડવામાં આવ્યા હતા. લોખંડની પાઈપ વાગી હતી, જેમાં એક સગીરાને ઇજા થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આમ, અમે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ સીસીટીવી ફૂટેજ વગેરે જોવામાં આવ્યા હતા, જેમાં જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. બેદરકારીપૂર્વક ફટાકડા ફોડનારા સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે જાહેર રોડ ઉપર બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવા અંગેની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં પણ દીપક દેસાઈ નામની વ્યક્તિ દ્વારા જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જાહેર રોડ ઉપર આવતા-જતા રાહદારીઓની જિંદગી જોખમાય એ રીતે બેદરકારીપૂર્વક બીજાની જિંદગીને જોખમમાં મૂકી જાહેર રોડ ઉપર અડચણ કરી દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. એ મામલે પણ દીપક દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બેદરકારીપૂર્વક જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પાલડી વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!