કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ સામે આવ્યો છે. કાંતિ ખરાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’ કહ્યા અને કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂ પીવે છે, પહેલા પોતે દારૂ પીવાનું બંધ કરે. કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ‘દારૂડિયા’ કહ્યા છે. આ આરોપ તેમણે દાંતા ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન સમયે લગાવ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડીએ ભાજપ સરકાર, તંત્ર અને પોલીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જંગલ, જમીન, દાખલાઓ, દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોના ખાતર જેવા મુદ્દાઓ પર દાંતા પ્રાંત કચેરીમાં નારેબાજી સાથે આવેદનપત્ર આપ્યું હતું.
કાંતિ ખરાડીએ આપેલું નિવેદન શબ્દશઃ
“આજે તાજેતરની અંદર આખા ગુજરાતને દારૂનો મુદ્દો, વિકાસનો મુદ્દો હોય કે ખેડૂતોને પડતી મુશ્કેલીનો મુદ્દો હોય એના અનુસંધાને અથવા તો જંગલ જમીનનો હોય કે અંબાજીમાં મકાન તુટવાનો જે મુદ્દો છે એના અનુસંધાને અહીં આવેદન પત્ર આપ્યું હતું અને એ જ મુદ્દાના અનુસંધાને આખા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી એનું આજે સમાપન થઇ રહ્યું છે. અમે સરકારને એ ઉજાગર કરીએ છીએ કે શા માટે તમે રેલી કાઢવા દો છો. તમારી નીતિ સાફ હોય તો આ બધું બંધ કરોને. હું તો એવું કહેવા માંગુ છું કે આ ગુજરાતનો વડો પોતે દારૂ પીતો હોય, તો પરિવારના દીકરાઓ કેમ દારૂ ન પીવે? સૌથી પહેલા ગુજરાતના ગૃહમંત્રી …ફરી કહું છું કે ગુજરાતના ગૃહમંત્રી પોતે દારૂડિયા છે તો ગુજરાતની જનતા કેમ દારૂડિયા કરી રહી છે.શા માટે આવું કરી રહી છે. નાના નાના દીકરાઓ એક્સીડેન્ટ અથવા તો બીજી રીતે મારી જાય છે. નાની દીકરીઓ વિધવા થઇ રહી છે. આ બધા પાપના ભાગીદાર ગુજરાતના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી એમને શરમ આવવી જોઈએ કે આ દારૂ જો ગુજરાતમાં બંધ કરવો હોય અને એમની નીતિ સાફ હોય તો માત્ર અડધો કલાકમાં આખા ગુજરાતમાં દારૂ બંધ થઈ જાય.” કાંતિ ખરાડીએ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતા દારૂ અને ડ્રગ્સ જેવી બદીઓ તેમજ ખેડૂતોના ખાતરના પ્રશ્નો સહિત વિવિધ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. દાંતા તાલુકાને રાજસ્થાન સરહદની બે બોર્ડર જોડાયેલી છે, જે અવારનવાર વિવાદમાં રહી છે. અંબાજીમાં શક્તિ કોરિડોરના આઠ નંબરના વિભાગના અસરગ્રસ્તો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જીગ્નેશ મેવાણી બાદ બીજા કોંગી MLAનું હર્ષ સંઘવી અંગે નિવેદન
ઉલ્લેખનીય છે કે, આ જન આક્રોશ યાત્રા દરમિયાન દાંતા ખાતે અગાઉ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આવા જ ગંભીર આરોપો લગાવ્યા હતા. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સર ભવાની સ્કૂલના ગેટથી દાંતા પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. તેમણે સરકાર અને પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી હતી. પ્રાંત કચેરી પાસે કોંગી કાર્યકરોએ નારા લગાવ્યા
પ્રાંત કચેરીના ગેટ આગળ એકઠા થઈને કાર્યકર્તાઓએ ફરી નારા લગાવ્યા હતા. ત્યારબાદ પ્રાંત અધિકારી હરિણી.કે.પી.ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દાંતા પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યા હતા.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!