વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગઇકાલે(4 માર્ચ) પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આજવા રોડ નવજીવન પાસે રહેતી પ્રિયંકાએ તાજેતરમાં જ PSIની પરીક્ષા પાસ કરી હતી. મૂળ બનાસકાંઠા જિલ્લાના રજોસણા ગામની વતની પ્રિયંકાના આપઘાતનું કારણ અકબંધ છે. બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બનેલી ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા કોન્સ્ટેબલે PSIની દોડની પરીક્ષા પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે તૈયારી કરતા હતા. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસ કર્મીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસ મિત્ર લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા ઘરે ગઈ ને જાણ થઈ
ગઇકાલે રાત્રે લગભગ 11થી 11:30 વાગ્યાની આસપાસ લેખિત પરીક્ષાનું મટીરીયલ આપવા એક મિત્ર ઘરે ગઈ હતી. પોલીસ મિત્રએ દરવાજો ખખડાવતા તેમને ના ખોલતા દરવાજો તોડી અંદર જોતા પ્રિયંકા પ્રજાપતિ પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. PSIની તૈયારી કરતા હોવાથી 10 દિવસથી રજા પર હતા: PI
બાપોદ પોલીસ સ્ટેશનના PI એમ.કે.ગુર્જરે જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતક બહેનનું નામ પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છે. તેઓ છેલ્લા બે વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નવજીવન વિસ્તારમાં વોર્ડ નંબર 5ની ઓફિસ સામે એકલા રહેતા હતા. તેઓ PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની પરીક્ષાની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા પર હતા. ‘પ્રિયંકાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા’
ગઇકાલે રાત્રે આશરે 11:30 વાગ્યે અમને જાણ થઈ કે બહેન ઘરનો દરવાજો ખોલતા નથી. જાણ થતા જ અમારા ઇન્વેના માણસો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી અમે ઉપર જઈને જોયું તો પ્રિયંકાબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. અમે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. ‘મૃતદેહ પરિવારને સોંપ્યો’
અમે તેમના વાલીવારસોને બોલાવીને જાણ કરી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે ડેડબોડીનું પોસ્ટમોર્ટ કરાવ્યા બાદ મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલુ છે. ‘કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા’
પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ પણ વસ્તુ મળી આવી નથી. અમે હાલમાં ‘અકસ્માત મોત’ નો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. એવું કોઈ ખાસ તણાવ જેવું જણાતું નહોતું. તેઓ ફક્ત પોતાની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. હાલમાં તપાસ ચાલુ છે. ‘આપઘાતનું કારણ જાણવા તપાસ’
સયાજી હોસ્પિટલમાં કપૂરાઈ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો, આ ઉપરાંત મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે કોન્સ્ટેબલે આત્મહત્યા શા માટે કરી છે. પોલીસે પરિવારજનો અને તેના સહકમીઓની પૂછપરછ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!