રાજકોટની AIIMS હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આજે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તેમની પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ યુવાને દોઢ માસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો, પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોંચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું. પુત્રના સુસાઇડની જાણ થતા રાજસ્થાન રહેતા માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. સુસાઇડ નોટમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો ઉલ્લેખ
મૂળ રાજસ્થાનના જેસલમેરનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBSનો વિદ્યાર્થી ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન)આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4:45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. મૃતકના પરિવારને રાજસ્થાન જાણ કરાઈ
હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જેથી તેઓ રાજસ્થાનથી નીકળી ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે. મૃતકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ
મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. AIIMS હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો. જે પછી આ યુવાન AIIMS હોસ્પિટલના કેમ્પસમાં રહેતો ન હતો. જોકે પોલીસનું કહેવું છે કે, તે મેડિકલ હોસ્ટેલમાં જ રહેતો હતો અને વોર્ડને જ આ વિદ્યાર્થી છાત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. હાલ યુવાન પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે મેડિકલના વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!