​જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં, પ્રાંત અધિકારીએ પૂજારી, PRO અને રસોયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેમાંથી મંદિર સાથે જોડાયેલા 11 લોકો સહિત અન્ય વ્યક્તિઓ નિવેદન નોંધાવવા માટે કચેરી સમક્ષ હાજર થયા હતા. ​અગાઉ આ મામલે 11 લોકોની અટકાયત કરી તેમની ‘હલાલ પટ્ટી’ (કાયદેસરની કડક કાર્યવાહી) કરવામાં આવી હતી. પવિત્ર યાત્રાધામની ગરિમા લજવનાર આ કૃત્યમાં કોની કેટલી સંડોવણી છે, તે જાણવા માટે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. રવિવારે પણ કામગીરી ચાલુ રાખીને પ્રાંત અધિકારી આ કેસમાં જવાબદાર તમામ લોકો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહ્યા છે, જેથી કડક શિક્ષાત્મક પગલાં ભરી શકાય. ‘અભિષેકે સોડામાં મિક્સ કરી મને દારૂ પીવડાવ્યો હતો’
આ સમગ્ર વિવાદમાં દારૂ અને નોનવેજની પાર્ટીના વીડિયોમાં દેખાતા સગીર યુવકે ભૂતકાળની એ ઘટનાનું વર્ણન કરતા મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સગીરે જણાવ્યું હતું કે, આ ઘટના બેસતા વર્ષની સાંજે બની હતી. હું મારા મિત્ર અભિષેકસિંહ ચૌહાણના કહેવાથી ત્યાં રોકાવા ગયો હતો. જે મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતો હતો. ‘અન્ય શખસો મને ઉશ્કેરતા હતા અને મારો વીડિયો ઉતાર્યો’
અભિષેક પોતે જ દારૂ લાવ્યો હતો અને તેણે સોડામાં મિક્સ કરી મને પીવડાવી દીધો હતો. નશાની હાલતમાં અન્ય શખસો મને ઉશ્કેરતા હતા અને મારો વીડિયો ઉતાર્યો હતો. સગીરના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, 7થી 8 લોકોની હાજરી હોવા છતાં માત્ર સગીરને જ નિશાન બનાવી વીડિયો વાઈરલ કરવા પાછળ કોઈ મોટું રાજકીય ષડયંત્ર હોઈ શકે છે. આ પણ વાંચો: અંબાજી મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી મામલે સગીરનો ચોંકાવનારો ખુલાસો ‘ચોરીના આક્ષેપો પાયા વિહોણા’: ​પૂજારી દુષ્યંતગીરી
આક્ષેપોનો જવાબ આપતા દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથીએ જણાવ્યું હતું કે, હું ભીડભંજન મહાદેવ તથા ગિરનાર અંબાજી માતાજી મંદિરમાં વર્ષોથી આરતી-પૂજા કરું છું. તનસુખગીરી બાપુ મારા સગા મોટા બાપુ છે. એટલે વર્ષોની અમારી પરંપરા આ પરિવાર સાથે જોડાયેલી છે. જે CCTV વાઇરલ થયા છે, તેમાં ભીડભંજનનો ઉલ્લેખ કરી કહેવાયું છે કે ‘ભીડભંજન આવનાર યાત્રિકોને તમે મોઢા તોડી લ્યો છો, જેવું તેવું વર્તન કરો છો’ તે તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે. આ પણ વાંચો: ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી, 10 પૂજારી સહિત 11ની હકાલપટી ‘હું કોઈ દિવસ મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી’
કારણ કે આજ શનિવારે અમારે ત્યાં ભીડભંજનના આશ્રમે સનાતનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જે વ્યક્તિ વીડિયો વાઇરલ કરે છે તેણે જ આ કાર્યક્રમ ગોઠવ્યો હતો અને અમે તેને બધું જ પ્રોવાઈડ કર્યું હતું. વાઇરલ વીડિયોમાં જે કહે છે કે, દુષ્યંતગીરી અને કુંદનગીરીનો વીડિયો છે’, તો મારું નામ દુષ્યંતગીરી છે પણ હું કોઈ દિવસ મા જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી. ‘કોઈપણ અમને દક્ષિણા આપે તો અમે લઈ શકીએ છીએ’
જે કુંદનગીરીએ પૈસા લીધા છે તે બાબતે જણાવું કે અમને આદિ અનાદિથી અમારો ધર્મ છે. કોઈપણ અમને દક્ષિણા આપે તો અમે લઈ શકીએ છીએ, તો એમાં શું વાંધો? અને જ્યારે અમારા ગુરુજી દેવલોક પામ્યા અને તંત્રના હાથમાં વહીવટ આવ્યો, ત્યારે લીગલી અત્યારે અમે 10 પૂજારીઓના નામ ચોપડા ઉપર છે. બાકી અન્ય છે તે અમારા રિસીવરમાં છે. 26 લોકોનું જે લિસ્ટ સામે આવ્યું છે તે માત્ર રોપ-વેમાં અવરજવર કરવા માટેનું લિસ્ટ છે. આ પણ વાંચો: ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, દારૂ-નોનવેજ પાર્ટી પછી કોંગ્રેસે શુદ્ધિકરણ કર્યું ‘અમે બંને પરિવારના થઈ વહીવટ કરીએ છીએ’:​ કુંદનગીરી
કુંદનગીરી અર્જુનગીરી અપારનાથીએ પરંપરા અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, હું મોટા પીર બાબા તનસુખગીરી બાપુનો નાનો ભાઈ છું. અમારી પરંપરામાં બે પરિવાર છે. ભીડભંજન પરિવાર અને નીલકંઠ પરિવાર. અતીત બાવાઓનો હિન્દુ ધર્મ મુજબ મા જગદંબા અને મહાદેવની પૂજા-સેવા કરવી એ અમારો હક છે. અમે બંને પરિવારના થઈ વહીવટ કરીએ છીએ. ‘એમને પૂજા કરવાનો હક નથી’
કિશોરસિંહ, ભાર્ગવસિંહ, અભિષેકસિંહ, ભરતસિંહ, રાજેશસિંહ, પ્રિન્સસિંહ અને ધર્મેન્દ્રસિંહ જેવા લોકોની નિમણૂક કરવામાં આવી છે. અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય એવું લખેલ નથી કે આ લોકો કાયદેસર સેવા-પૂજા કરી શકે. એમને પૂજા કરવાનો હક નથી. ‘અમે પાંચેય સીધી લીટીના વારસદાર છીએ’
નીલકંઠ પરિવારમાંથી હિમાંશુગીરી બાપુ, યોગેશગીરી બાપુ અને તેમના પરિવારના સભ્યો છે. જ્યારે અમારા પરિવારમાંથી હું પોતે કુંદનગીરી, કાંતિગીરી, દુષ્યંતગીરી, હર્ષગીરી અને મલયગીરી અમે પાંચેય સીધી લીટીના વારસદાર છીએ. જેમાં માત્ર કાંતિગીરી જ મામલતદાર ઓફિસમાંથી પગાર લેતા હતા, અમે ચારેય પગાર લેતા નહોતા. ‘પ્રાંત અધિકારી SDMની નિમણૂક કરાઈ’: અધિક કલેકટર
આ મામલે જૂનાગઢના નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડે જણાવ્યું હતું કે, આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો છે. આ સમગ્ર પ્રક્રિયાનો તલસ્પર્શી અહેવાલ તૈયાર કરવા માટે પ્રાંત અધિકારી SDMની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ કલેક્ટરની સૂચના મુજબ મંદિર અપૂજનીય ન રહે તે માટે મામલતદાર કક્ષાએથી 11 પૂજારીઓ દ્વારા પૂજાની વ્યવસ્થા કરાઈ હતી. ‘SDMના રિપોર્ટ બાદ આગળના પગલાં લેવાશે’
હાલ તાત્કાલિક ધોરણે બે પૂજારીઓને પૂજાની કામગીરી સોંપવામાં આવી છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ છે અને જો તપાસમાં કોઈ બાબત ધ્યાન પર આવશે તો ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે. SDMના રિપોર્ટ બાદ આગળના પગલાં લેવાશે.”
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!