વડોદરા ખાતેથી 12 લાખ રુદ્રાક્ષની માળાઓ તૈયાર કરી જન્માષ્ટમીની રાતે 33 લોકો વડોદરાથી કેદારનાથ જવા રવાના થયા હતા. સમિતિના સભ્યો પવિત્ર ધામ કેદારનાથ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સમગ્ર મંદિર પરિસરમાં રુદ્રાક્ષનો ભવ્ય તથા દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. પરમ શિવભક્ત સ્વ. યોગેશ પટેલ દ્વારા ઊભું કરાયેલા સત્યમ શિવમ સુંદરમ સમિતિના સભ્યોના અથાક પ્રયાસો અને સહયોગથી આ પવિત્ર સંકલ્પ પૂર્ણ થયો છે. પૂર્વ MLA સ્વ.યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ
વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલનો ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર ધામ કેદારનાથ ખાતે રુદ્રાક્ષનો વિશેષ શૃંગાર ચડાવવા માટેનો એક દ્રઢ અને પવિત્ર સંકલ્પ હતો. યોગેશ પટેલ શિવભક્તિ અને ધાર્મિક કાર્યો પ્રત્યે ઊંડી આસ્થા ધરાવતા હતા, પરંતુ તેમના અકાળ નિધનને કારણે આ સંકલ્પ તેમના જીવનકાળ દરમિયાન પૂર્ણ થઈ શક્યો ન હતો. યોગેશ પટેલના અવસાન બાદ તેમના પરિવારજનો અને નજીકના સાથીદારોએ આ અધૂરા રહી ગયેલા સંકલ્પને ગમે તેમ કરીને પૂરો કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. પરિવારજનો દ્વારા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી અને તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. અને આખરે આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. દોઢ મહિના સુધી 2100 લોકોએ માળા બનાવી
વડોદરા ખાતે રુદ્રાક્ષની અલગ અલગ લંબાઈની માળાઓ બનાવવા માટે 2100 જેટલા વ્યક્તિઓ સતત દોઢ મહિના સુધી કામે લાગ્યા હતા. રોજે રોજ અલગ અલગ લોકો આ કામમાં જોતરાયા હતા. આ કાર્યમાં સખી મંડળ, ભાવિક ભક્તો, તેમજ મંડળના સભ્યો જોડાયા હતા અને અથાગ પ્રયાસો થકી આ માળાઓ તૈયાર કરવામાં આવી હતી. જે માળાઓ પણ બસ મારફતે લઈ જવામાં આવી હતી. વડોદરા ખાતેથી આગેવાનો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નેપાળથી ખાસ રુદ્રાક્ષ મગાવવામાં આવ્યા
યોગેશ પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે કેદારનાથ મંદિર ખાતે 11 લાખ રુદ્રાક્ષ ચડાવવા માટેનો સંકલ્પ કર્યો હતો. તેઓના મનમાં એમ પણ હતો કે આ રુદ્રાક્ષ ઓરીજનલ રુદ્રાક્ષ હોવા જોઈએ. જેના કારણે તેઓએ ખાસ નેપાળથી આ તમામ રુદ્રાક્ષ મગાવ્યા હતા. જોકે રુદ્રાક્ષ આવ્યા તે પહેલા જ યોગેશ પટેલનો નિધન થયું હતું. યોગેશભાઈના પરિવારજનોએ આ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે તત્પરતા વ્યક્ત કરતા સત્યમ શિવમ સુંદરમના સભ્યોએ આ પરિકલ્પના પૂર્ણ કરી હતી. આખા મંદિરને શણગાર કરતા 3 દિવસ થયા
વડોદરાથી ગયેલા સભ્યોએ જરૂરી પરવાનગી લીધા બાદ પરિસરમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્રણ દિવસ સુધી આ કામ ચાલ્યું હતું. ત્યાંની સરકાર પુષ્કર ધામીના મંત્રી મંડળ બાદ સ્થાનિક જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા, એસ ડી એમ તેમજ મંદિર પરિસરના આગેવાનોએ સહયોગ આપ્યો હતો અને તેના પગલે આ સંકલ્પ સાકાર કરવામાં સરળતા થઈ હતી. રુદ્રાક્ષ શૃંગારને જોઈને શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા
કેદારનાથ મંદિરમાં સૌપ્રથમ વખત આખું મંદિર રુદ્રાક્ષથી શણગારવામાં આવ્યું હતું. આ અગાઉ માત્ર એક ભાગ રુદ્રાક્ષથી શણગારાયો હતો પરંતુ આ વખતે નંદી, રેલીંગ સહિતનો ભાગ શણગારવામાં આવ્યો હતો. કેદારનાથ બાબાના ધામમાં આકારે લેવાયેલા આ અલૌકિક રુદ્રાક્ષ શૃંગારને જોઈને ત્યાં હાજર તમામ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ઉઠ્યા હતા. મંદિર પરિસરના કિસાન ત્રિવેદી અને હેમંત દ્વિવેદી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. સાવલી વાળા સ્વામીની પુણ્યતિથિએ કામ પૂર્ણ
સમિતિના સભ્યો દ્વારા સતત ત્રણ દિવસ સુધી આ કામગીરી કરવામાં આવી હતી. જોગાનુજોગ આ કામગીરી સાવલીવાળા સ્વામીની પુણ્યતિથિએ આ કાર્ય પૂર્ણ થયું હતું. આ ધાર્મિક સેવા દ્વારા સત્યમ શિવમ સુંદરમ સમિતિના સભ્યો તેમજ સ્વ. યોગેશ પટેલના પરિવારે દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સફળ આયોજન દ્વારા પૂર્વ ધારાસભ્યના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમના દ્રઢ સંકલ્પને સત્ય સાબિત કરીને શિવચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!