પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા (રોઝુ) ગામમાં તાજેતરના ભારે વરસાદ બાદ ગામ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
ઉપરવાસમાંથી સતત આવતાં પાણીના પ્રવાહ સાથે મળી ગામની અંદર તેમજ ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.



મળતી માહિતી મુજબ, અંદાજે ૧૦૦૦ હેક્ટર (લગભગ ૨૫૦૦ એકર) જમીન પાણી હેઠળ ગરક થઈ ગઈ છે.
આ પાણી ભરાવાના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિત અનાજ અને જરૂરી સામાનને ભારે નુકસાન થયું છે.
અનેક પરિવારોના મકાનોમાં પાણી ભરાતા રહેવાસીઓએ રાતો જાગીને પસાર કરી છે.
ખેતીને મોટું નુકસાન
ખેતીલાયક જમીન પાણી નીચે જતા ખેડૂતોના ઉભેલા પાક બગડી ગયા છે.
ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો જમીન ખારી બની જશે અને આવનારા વર્ષોમાં ખેતી માટે યોગ્ય રહેશે નહીં.
આથી ખેડૂતોના જીવનાધાર ઉપર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે.
જૂની કેનાલ નિષ્ક્રિય
ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલ તે માટીથી પુરાઈ જવાથી પાણી બહાર જતું નથી.
પરિણામે ગામ અને ખેતીલાયક જમીનમાં પાણી જળવાઈ રહે છે.
ગ્રામજનોની માંગ
ગામજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે અંદાજે બે કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી પાણીનો નિકાલ રણ વિસ્તારમાં કરવામાં આવે.
આવું થશે તો વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
તંત્રે તાત્કાલિક પગલાં ભરે તેવી
ગામજનોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.
પાણી ભરાયેલા વિસ્તારોમાં રોગચાળાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.
પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સંબંધિત વિભાગો આ મુદ્દાને ગંભીરતાથી લઇ વહેલી તકે યોગ્ય કામગીરી કરે તેવી અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
