પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિએ ગ્રામજનો માટે ભારે તારાજી સર્જી હતી.
ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી અને ખેતરોને નુકસાન થતા લોકો રોજિંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે તંગીનો સામનો કરી રહ્યા હતા.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં વિચરતા સમુદાય સમર્થન મંચ આગળ આવીને પીડિત પરિવારજનો માટે સહાયરૂપ બન્યું હતું.
વિચરતા સમુદાય સમર્થન મંચના સચિવ શ્રીમતી મિતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ મંચની ટીમે સાંતલપુર તાલુકાના વૌવા, સાંતલપુર, લોદ્રા, દૈગામડા સહિતના ગામોમાં અને કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગામોમાં કુલ 500 જેટલી રાશન કિટોનું વિતરણ કર્યું હતું.
આ કિટોમાં દૈનિક જીવન માટે જરૂરી ચોખા, ઘઉં, દાળ, તેલ, મસાલા વગેરે સામાન સામેલ હતા, જેથી પીડિત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે.
આ કાર્ય દરમિયાન મંચના સચિવ મિતલબેન પટેલે ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને તેમની વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. તેમણે કહ્યું કે, “આવા કપરા સમયમાં સમાજના દરેક વર્ગે સાથે મળીને એકબીજાને સહાયરૂપ થવું જરૂરી છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ હંમેશા પીડિતોની સાથે છે.”
આ સેવા કાર્યમાં મંચના કાર્યકર મોહનભાઈ બજાણીયા, શંકરભાઈ બજાણીયા, ખોડાભાઈ બજાણીયા તથા અન્ય અનેક સ્વયંસેવકોની નોંધપાત્ર ભૂમિકા રહી હતી. સ્વયંસેવકો ગામોમાં જઈને લોકોને કિટો પહોંચાડી રહ્યા હતા અને સાથે તેમની તકલીફોને સાંભળી રહ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોએ વિચરતા સમુદાય સમર્થન મંચના આ માનવીય પ્રયાસની પ્રશંસા કરતાં જણાવ્યું કે આવી સંસ્થાઓના સહકારથી જ આપત્તિના સમયમાં લોકો ફરીથી ઊભા થઈ શકશે.
અતિવૃષ્ટિથી પીડિત વિસ્તારોમાં આ સહાય અભિયાનથી અનેક પરિવારોને જીવન જરૂરીયાતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને આ પ્રયાસ સમાજસેવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
