ઘાસચારા વચ્ચેથી નિલગાયનો શિકાર કરાયેલ મૃતદેહ મળતા વન વિભાગ હરકતમાં, ગ્રામજનોની માંગ — “વહેલી તકે આરોપીઓને પકડો”
પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના બાબરા ગામની સીમમાં રેવન્યુ જમીન પર નિલગાયનો શિકાર કરાયેલ મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી.
ખેતરમાં મળેલો મૃતદેહ જોઈ ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
વન વિભાગની ટીમ તેમજ વિસ્તરણ અધિકારી દિનેશ સિંધવે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે નિલગાયનો શિકાર કરીને તેને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
વિસ્તરણ અધિકારી દિનેશ સિંધવે જણાવ્યું હતું કે — “મૃતદેહ મળી આવ્યા બાદ અમે એફઆરઓ નોંધી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ શિકારની ઘટના લાગી રહી છે.
મૃતદેહનું પીએમ કરી નમૂનાઓ મોકલી દીધા છે.”
વન વિભાગના આરએફઓ દીપક બાંભણીયાએ જણાવ્યું હતું કે — “રેવન્યુ જમીનમાં મૃતદેહ મળ્યો છે.
શિકારની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ સુધી કોઈ સ્પષ્ટ કડી મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે.”
ગામજનોનું કહેવું છે કે સરહદી વિસ્તારોમાં શિકારી પ્રવૃત્તિ છેલ્લા કેટલાંક સમયથી વધી રહી છે અને વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
