
Jamnagar Court : જામનગરના એક કારખાનેદારનું અપહરણ કરીને 20 દિવસ સુધી ગોંધી રાખવા અને તેને કારખાનાની મશીનરી પણ ઝુંટવી લેવાના આરોપ ઉપરાંત કારખાનેદારે પાંચ અલગ લેણદારોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યાની ફરિયાદના કેસમાં ધરપકડ બાદ જેલમાં ગયેલા આરોપી ધર્મેશ મૂળજીભાઈ રાણપરીયા દ્વારા સેસન્સ અદાલતમાં કરવામાં આવેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુધાબેન લાલજીભાઈ મારકણા નામના મહિલાએ ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સહિત પાંચ શખ્સો સામે તા.26/9/25ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ ધંધાકીય જરૂરિયાત માટે પાંચેય પાસેથી વ્યાજે લીધેલા નાણા કરતા પણ વધુ નાણાં ચૂકવી આપ્યા છે. છતાં પણ તમામ અલગ અલગ પાંચ લેણદારો દ્વારા તેઓને ઉઘરાણી માટે ત્રાસ આપવામાં આવતો હોવાથી પતિ લાલજીભાઈ મારકણાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
