ખેડૂતો પાસેથી કૃષિ જણસની ખરીદીમાં ચાલતી ગેરકાયદેસર ‘કડદા પ્રથા’ ને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાનું આંદોલન હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસ્તાર્યું છે. આ વિરોધને વધુ વેગ આપવા માટે કાંકરેજના થરા માર્કેટ યાર્ડ ખાતે AAPના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અગ્રણી નેતાઓની એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં કડદા પ્રથા વિરુદ્ધ ઘેરા ચર્ચા
આ બેઠકમાં કડદા પ્રથાથી ખેડૂતોને થઈ રહેલા આર્થિક અન્યાય અને લાખોના નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નેતાઓએ સર્વસંમતિથી આગામી સમયમાં આ પ્રથા વિરુદ્ધ આંદોલનની રણનીતિ ઘડી હતી, જે દર્શાવે છે કે AAP આ મુદ્દાને હવે માત્ર સૌરાષ્ટ્ર પૂરતો સીમિત ન રાખતા, સમગ્ર રાજ્યમાં વિસ્તારવા માટે સક્રિય થઈ છે. આ ઉપરાંત, ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ટેકાના ભાવ મળી રહે તે વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
અગ્રણી નેતાઓની હાજરી:
બેઠકમાં લોકસભા પ્રભારી (પાટણ) પ્રભાતસિંહ સોલંકી, બનાસકાંઠાના ઉપ પ્રમુખ નવીનભાઈ પટેલ, કાંકરેજના પ્રમુખશ્રી જેઠુંભા વાઘેલા, વિધાનસભા પ્રભારી પીન્ટુભા વાઘેલા, યુથ વિંગ પ્રમુખ દિનેશજી ઠાકોર, તેમજ ઈશ્વરસિંહ જાદવ, પ્રવીણભાઈ જોશી, ભારતસિંહ જાદવ, રમેશભાઈ પંડિત, અને અભુજી વાઘેલા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
‘કડદા પ્રથા એ ખેડૂતોની મહેનતની ચોરી સમાન’
અગ્રણી નેતાઓએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કડદા પ્રથા એ ખેડૂતોની મહેનતની ચોરી સમાન છે અને તેનાથી ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. બોટાદ APMCના તાજેતરના ઘર્ષણનો ઉલ્લેખ કરીને, તેમણે સરકારને ચેતવણી આપી હતી કે:
“જો આ ગેરકાયદેસર પ્રથા તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો AAP આ આંદોલનને રાજ્યના ખૂણે ખૂણે લઈ જશે.”
બનાસકાંઠાના ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારી પાર્ટી ખેડૂતોના હિત માટે આરપારની લડાઈ લડવા તૈયાર છે. અમે ખેડૂત વિરોધી નીતિઓને ચલાવી નહીં લઈએ. કડદા પ્રથા બંધ કરાવવી એ અમારી મુખ્ય માંગ છે.”
આ બેઠક પરથી સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે, જ્યાં AAP કડદા પ્રથા અને ટેકાના ભાવ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સજ્જ થઈ છે.
The Gujarat Live News રિપોર્ટર પ્રવિણભાઇ કાંકરેજ
