સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં હતી મિલ
સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં જે.પી. કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા. આ મિલની જવાબદારી તેઓના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઉદ્યોગપતિ દ્વારા આ પ્રકારે આત્યાંતિક પગલું ભરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાની શક્યતા
સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈક અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા. જોકે, આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે. પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જેનાથી આ ઉદ્યોગપતિના આ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે. પિતાના દુઃખદ સમાચાર સાંભળી પુત્ર અમેરિકાથી પરત ફરશે
કાચીવાલા પરિવારને માથે આ આકસ્મિક આફત આવતાં ઘેરા શોકનો માહોલ છે. વધુમાં જાણવા મળ્યું કે, મૃતક રશ્મિન કાચીવાલાને એકનો એક પુત્ર છે, જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે. પિતાના આ દુઃખદ સમાચાર મળતાં જ પુત્ર પણ ટૂંક સમયમાં સુરત પરત ફરશે. સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી
ખત્રી સમાજના અગ્રણી અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રશ્મિન કાચીવાલાના આ પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો જેમ કે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક સમસ્યા અંગે તપાસના દોર શરૂ કર્યા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!