ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત બનેલો સાંતલપુરથી રાજસ્થાનને જોડતો ભારતમાલા રોડ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ આ રોડ માત્ર છ મહિના પહેલા જ જનતા માટે શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે તૂટી પડતાં ગયા અઠવાડિયાથી બંધ કરી દેવાયો છે.
મળતી માહિતી મુજબ, સાંતલપુરથી વરણોસરી સુધીનો આશરે 30 કિલોમીટરના માર્ગનો મોટો ભાગ તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. રોડની દયનીય હાલતને પગલે વિભાગે રોડને રીપેરીંગ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ રોડ બંધ થતાં કચ્છથી આવતા અનેક વાહનચાલકોને વિકલ્પરૂપે સિધાડા કસ્ટમ રોડ મારફતે વરણોસરી પાસે ભારતમાલા માર્ગ સાથે જોડાવું પડે છે, જ્યારે કેટલાક વાહનચાલકો નેશનલ હાઇવે નં. 27 પરથી વારાહી-રાધનપુર-રાજસ્થાન તરફ જવાનું પસંદ કરી રહ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓનો આક્ષેપ છે કે રોડ માત્ર છ મહિના પહેલા શરૂ થયો છતાં તેની હાલત આટલી ખરાબ થઈ જવી એ બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે.
લોકો માંગ કરી રહ્યા છે કે રોડનું તાત્કાલિક મરામત કામ કરી ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવે, તેમજ બાંધકામ કરનાર એજન્સીની તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે.
સાતલપુર વિસ્તારના લોકો હવે રોજિંદા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે ભારતમાલા યોજનાનો હેતુ ઝડપી અને સુગમ માર્ગ વ્યવહાર પૂરો પાડવાનો હતો — પરંતુ હકીકતમાં સ્થિતિ તેના વિપરીત છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
