સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ટેરેસ પર બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આગની શરૂઆત માર્કેટના છઠ્ઠા માળે (ટેરેસ પર) આવેલા એક ગોડાઉનમાંથી થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા. ટેરેસ પર ચારેબાજુ પતરા મારીને બ્લોક કરવામાં આવ્યું હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો, જેના કારણે ફાયર ફાઇટરોને અંદર જવામાં અને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 18થી વધુ ફાયરની ગાડીએ પાણીનો મારો ચલાવી આગ ફેલાતા રોકી
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીના જણાવ્યા અનુસાર, 10થી વધુ ફાયર સ્ટેશનની ટીમો કામે લગાડવામાં આવી હતી. માનદરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પુણા સહિતના સ્ટેશનોની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનો કે માળમાં પ્રસરતા અટકાવી હતી. દોઢ કલાકે આગ કાબૂમાં આવી
લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલ આગ કંટ્રોલમાં છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સદનસીબે, આગ આગળ ન વધતા મોટી જાનહાનિ કે વધુ નુકસાન ટળ્યું છે, પરંતુ જે ગોડાઉનમાં આગ લાગી હતી ત્યાં રાખેલો કાપડનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. આગ કાબૂમાં લેવા માટે પતરા કાપવા પડ્યાઃ ચીફ ફાયર ઓફિસર
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને આશરે સવા બાર વાગ્યે કોલ મળ્યો હતો. સૌપ્રથમ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ અહીં પહોંચ્યા ત્યારે આખું માર્કેટ ધુમાડાથી ભરેલું હતું. સ્થિતિ ગંભીર જણાતા બ્રિગેડકોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ અહીં પહોંચ્યા હતા. લગભગ 15 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને બ્રીધિંગ સેટની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્કેટની ઉપરના ભાગે આવેલા ગોડાઉનમાં કાપડનો જથ્થો ભરેલો હતો, જ્યાં પતરાં કાપીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. ત્રણ લોકો લિફ્ટમાં ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી. ત્રણ લોકો ફસાયા હતા તેને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે- મેયર
સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સવા બારે કોલ હતો એક આગનો શ્રીરામ માર્કેટમાં. કોલ પહોંચતા જ અમારા તમામ ફાયરના જવાનો પહોંચી ગયા હતા. આશરે 15 થી 20 ફાયરની ગાડીઓ મંગાવી લીધી હતી. હમણાં જ શિવ શક્તિમાં જે પ્રમાણે આગ લાગી તે ટોપ ફ્લોરથી નીચે ગઈ હતી. તેવી જ રીતનો આ બનાવ હતો પણ અમારા ફાયરના જવાનોએ આ આગને કાબૂમાં લાવી દીધી છે. ત્રણ જણા લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા એને પણ સેફ રીતે કાઢી લેવામાં આવ્યા છે. કોઈપણ કેઝ્યુલિટી નથી અત્યારે અને પ્રાથમિક તારણ જોતા અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના હિસાબે આ આગનો બનાવ બન્યો હતો. અત્યારે પ્રાથમિક અમારી જે ફરજ છે એ કુલિંગની કામગીરીની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લા બે-ત્રણ વખતથી કુલિંગની કામગીરીની પ્રક્રિયા અમે પૂરી કરીને જઈએ છીએ અને પછી પાછી આગ લાગે છે એટલે હું ખાસ અત્યારે વિઝિટ એટલે કરવા આવ્યો છું કે સ્ટેન્ડબાય પર અમે બે-ત્રણ ગાડીઓ અહીંયા રાખી મુકવાની છે આખી રાત. એ કુલિંગની પ્રક્રિયા બાદ પણ ઘણી જગ્યાએ આપણે છેલ્લી બે આગમાં એવું જોયું છે કે આગ લાગે છે તેના નિરાકરણ માટે જ હું આવ્યો હતો. પતરાની વાત કરું તો એ તપાસનો વિષય છે. જે કંઈ હોય નિયમ અનુસાર કાયદેસરના અમે પગલાં ભરીશું. અત્યારે હું આપને કંઈ નહીં કહી શકું જે કંઈ હોય મેં ઝોનમાં પણ તપાસનો આદેશ આપી દીધો છે કે આની ઈમ્પેક્ટ ભરાય છે કે નહીં. નહીં ભરાઈ હોય તો 100 ટકા મહાનગરપાલિકા દ્વારા કાયદેસરના અમે પગલાં ભરીશું. નીચે ટ્રાફિકના હિસાબે તકલીફ પડી હતી પણ આવનાર સમયમાં અહીંયા જે કોઈ એન્ક્રોચમેન્ટ હશે મેં અત્યારે જ ઝોનને સૂચના આપી દીધી છે કે ફાયરની ગાડીઓ વ્યવસ્થિત નહીં જઈ શકે એવી જગ્યાએ તાત્કાલિક કાર્યવાહી કરો.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!