અંજાર પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના કામોના લોકાર્પણ સાથે ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાનું કરાયું અનાવરણ

અંજારને મળેલી 2 કોલેજોની ભેટ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરશે : રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

અંજાર ખાતે આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર શહેરના પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિકાસકામોનું લોકાર્પણ તથા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ ડૉ.શ્યામ પ્રસાદજીના વ્યક્તિત્વને પ્રેરણાદાયી ગણાવીને જણાવ્યું હતું કે, અંજાર શહેરમાં લાખોના ખર્ચે લોકાર્પણ કરાયેલા વિકાસ કામો શહેરીજનોને માટે લાભદાયી બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંજાર શહેર માટે મંજૂર થયેલી પોલિટેકનિક તથા એગ્રીકલ્ચર કોલેજ શિક્ષણ ક્ષેત્રે આવનારી પેઢીને સુવિધા પ્રદાન કરશે. જેનાથી આવનારા સમયમાં શિક્ષણની જ્યોત આ વિસ્તારમાં વધુ પ્રબળ બનતા તેના મીઠા ફળ આ વિસ્તારને અવિરત મળતા રહેશે. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર દ્વારા અંજાર વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા તેમજ લોકલક્ષી અનેક વિકાસ કામોની છણાવટ કરીને આ વિકાસ યાત્રા આ જ રીતે અવિરત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ વિકાસકામોની જવાબદાર નાગરિક તરીકે જાળવણી કરવા પણ તેમણે અપીલ કરી હતી.

લોકાર્પણ દરમિયાન નગર પાલિકા પ્રમુખશ્રી વૈભવ કોડરાણીએ નગરપાલિકા દ્વારા અંજાર શહેરમાં થયેલા વિકાસ કામોની માહિતી આપીને આવનારા સમયમાં નગરજનો માટે વધુ સુખાકારીના કામો કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

અંજાર પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે , લોકોની સુખાકારીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે જે અનુસંધાને જ આજરોજ લાખોના ખર્ચે જે પણ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લોકો માટે ઉપયોગી સાબિત થશે.

કાર્યક્રમમાં સંત ત્રિકમદાસજીએ આર્શીવચન આપતા નાગરિકોને જાહેર હિત તથા રાષ્ટ્રની સંપત્તિની જાળવણી કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે કારોબારી ચેરમેનશ્રી પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતાશ્રી નિલેશગીરી ગોસ્વામી, સંતશ્રી કીર્તિ દાસજી, સંતશ્રી દાદા માતંગ, આગેવાનશ્રી કલ્પનાબેન ગોર, મશરૂભાઈ રબારી, સુરેશભાઈ ટાંક, હિતેનભાઈ વ્યાસ, ક્રિપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠીયા, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, બલરામભાઈ જેઠવા, ગાયત્રીબા ઝાલા, વિજયભાઈ પલણ, અમરીશભાઈ સહિતના અગ્રણીઓ, નગર સેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!