માનવતા અને પાડોશી ધર્મને લજવતી એક ચોંકાવનારી ઘટના સુરતના ઉત્રાણ વિસ્તારમાં બની છે. ‘શાલીગ્રામ સ્ટેટ્સ’ જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન ‘પ્રસાદ’નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણની લક્ઝુરિયસ સોસાયટી ‘શાલીગ્રામ સ્ટેટ્સ’માં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવાર સાથે આ અઘટિત ઘટના બની છે. 10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતા પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ નહોતી અને તેઓ આ ‘પ્રસાદ’ સમજીને ઘરમાં લઈ ગયા હતા. લાડુ ખાતા જ તબિયત લથડી
ઘરમાં ગોરધનભાઇ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાની ગણતરીની સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર આવવા, સતત ઉલટીઓ થવી, ગભરામણ અને બેચેની થવી અને બેભાન થઈ જવા જેવી અસરો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુંદીના લાડુમાં હતી ઝેરની ગોળીઓ
સારવાર દરમિયાન દર્દીઓની હાલત જોતા તબીબોને શંકા ગઈ હતી. જ્યારે બાકી બચેલા લાડુની તપાસ કરવામાં આવી, ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા. લાડુની અંદરથી અનાજ સંઘરવા માટે વપરાતી ઝેરની ગોળીઓ મળી આવી હતી. ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી અને તેઓ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ
ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સોસાયટીના સીસીટીવી તપાસતા 5 જેટલી શંકાસ્પદ વ્યક્તિઓ કેમેરામાં કેદ થઈ છે, જેમના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પાડોશમાં રહેતી કોઈ વ્યક્તિ સાથેના જૂના વિવાદને કારણે આ કૃત્ય આચરવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ રેકી કરીને, પરિવાર ક્યારે હાજર હશે તે જાણીને કરવામાં આવેલું આયોજનબદ્ધ કાવતરું છે. શકમંદોની પૂછપરછમાં હકીકત સામે આવશેઃ ACP
ઉત્રાણ પોલીસ સ્ટેશનના ACP પાર્થ ચોવટિયાએ કહ્યું કે, હાલ ‘જાણવા જોગ’ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પ્રસાદી એટલે કે મીઠાઈનું સેમ્પલ કબજે કરીને FSLમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યું છે. પરિવારજનો દ્વારા પડોશી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે, તો પોલીસ દરેક પાસાઓને ધ્યાનમાં રાખી, દરેક શકમંદ લોકો અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી રહી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ અને પૂછપરછના અંતે જે પણ હકીકત સામે આવશે, એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મારા મમ્મીએ ના પાડી એટલે વધેલી બુંદી પણ હું જ ખાઈ ગઈઃ કિરણબેન
હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરેલા કિરણબેન નીલેશભાઈ ડોંડા (પુત્રવધુ)એ જણાવ્યું કે, આ બધું 10 તારીખે બન્યું હતું. બપોરે મારા સસરા ઘરે આવ્યા ત્યારે નીચે પેસેજમાં કોઈ ‘પ્રસાદી’ જેવું મૂકી ગયું હતું. હવે આપણને તો એમ જ હોય કે કોઈ પ્રસાદી આપી ગયું હશે, એટલે તે અંદર લઈને આવ્યા અને પ્રસાદી માનીને ખાધી. તેઓ ખાઈને નીચે ગયા, પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં પણ થોડી ચાખી. મેં મારા મમ્મીને પણ ખાવા કહ્યું, પણ તેમણે ના પાડી એટલે એ પણ મેં જ ખાઈ લીધી. ‘મારાથી ઊભું પણ નહોતું થવાતું’
થોડી વાર પછી ફોન આવ્યો કે, પપ્પાને કંઈક તકલીફ થઈ છે. મેં ફોન મૂક્યો ત્યાં તો મને પણ તેની અસર થવા માંડી હતી. તે દિવસે આમ પણ મારી તબિયત સારી નહોતી, પણ પછી તો હું સાવ ઢળી જ ગઈ. હું ઊભી થવા માંગતી હતી પણ મારાથી ઊભું પણ નહોતું થવાતું. મારી દીકરીએ પછી તેના પપ્પાને ફોન કર્યો અને અમે 108 દ્વારા કિરણ હોસ્પિટલ પહોંચ્યા. ‘સામેવાળા હોઈ શકે, તેમની દીકરી ભાગી ગઈ તેનું વેર છે’
જ્યારે મારી દીકરીએ અને મેં અંદર જોયું ત્યારે ખબર પડી કે આમાં તો ગોળીઓ જેવું કંઈક છે, પણ ત્યાં સુધીમાં તો અમે તે ખાઈ લીધું હતું. પછી મારી છોકરીએ વધેલા લાડું કચરામાં નાખી દીધા. પછી પાછો એ લાડવો બહાર કાઢીને ફોટો એના પપ્પાને મોકલ્યો. આ કરનાર કોઈ જાણભેદુ જ હોય શકે. આટલા વર્ષ થયા અમારે કોઈના સાથે દુશ્મની નથી. અમને સામેવાળા પર પહેલેથી જ ડાઉટ હતો, કેમ કે તેમની છોકરીને લઈને મારી સાથે થોડુંક વધારે વેર હતું. તેમની ભાગી ગયેલી છોકરી મને ફોન કરતી હતી, એ એને નહોતું ગમતું. એની છોકરીએ મને સામે ચાલીને ફોન કર્યો હતો, મને તો ખબર પણ નહોંતી. એમને વહેમ છે કે, મેં તેમની છોકરીને ભગાડી છે, એટલે આવું કર્યું. પોલીસવાળા એને કાલે બપોરે ત્રણ વાગ્યાના લઈ ગયા હતા અને રાત્રે અગિયાર વાગ્યા સુધી ઘરે નહોતા આવવા દીધા. ‘વધારે ખાધા હોત તો મરી જ જાત’
મારા ઘરની એણે પથારી ફેરવી નાખી! એને કરવું હતું તો મને લાફા મારી ગયા હોત, પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે વધારે નહોતો ખાધો, બાકી તો અમે મરી જ જાત. અમારે પહેલા રિલેશનશિપ બહુ જ સારા હતા, પણ હવે આ રીતનું થયું એટલે બંધ થઈ ગયા. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અથવા તેઓનેઃ ગોરધનભાઈ
ગોરધનભાઈ ડોંડાએ જણાવ્યું હતું કે, 10 તારીખે 3 વાગ્યે ઘરે આવ્યો એટલે હું લાડું પ્રસાદી સમજીને ઘરમાં લઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું. પછી મેં આમાંથી એક બટકુ ખાધું અને મારી દીકરાની વહુએ એક બટકુ ખાધું. ત્યાર પછી કલાકે મને અસર થઈ. તે પછી તો હું નીચે ગયો હતો અને તબિયત બગડી હતી. મારી સાથે જે બધા બેઠા હતા એ મને દવાખાને લઈ ગયા. મારા બન્ને છોકરાઓ ફેક્ટરીએ હતા, એમને ફોન કર્યો કે, ગોરધનભાઈને આમ થયું છે. મને સામેવાળા ઉપર 100% શંકા છે. પોલીસ એને પકડી ગઈ છે. એમની સાથે અમારે કોઈ જાતનું વેરઝેર નથી. બે વર્ષથી અમારે એની સાથે કોઈ જાતનો સંબંધ નથી, તો શું કામ મારી સાથે આવું કર્યું? એ મને નથી ખબર. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અને અથવા એને ફ્લેટ ખાલી કરીને જવું પડશે. મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળીઃ ઈશા
ઈશા નિલેશભાઈ ડોંડા (દીકરી)એ જણાવ્યું કે, દાદા બાદ 5 વાગ્યાની આસપાસ મારા મમ્મીએ લાડવો ખાધો હતો. થોડો ટાઈમ થયો એટલે મમ્મીને ચક્કર આવવા લાગ્યા. તરત જ મારા કઝીન આંટીનો ફોન આવ્યો કે, બાપુજીને આવું થયું છે અને હાર્ટ-એટેકની અસર લાગે છે, તે પડી ગયા છે. એટલે પછી મમ્મીએ કીધું કે, ચક્કર તો મને પણ આવે છે. પછી મને ડાઉટ ગયો, એટલે પછી મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળી. પછી મેં તરત પપ્પાને કીધું અને પપ્પાએ મને ફોટો મોકલ. મેં ફોટો મોકલ્યો. પછી પપ્પા કહે કે, એને તું મૂકી દે, એમાં ડ્રગ્સ જેવું લાગે છે. પછી મમ્મીને બહુ ચક્કર આવવા મંડ્યા અને ઉભી નહોતી રહી શકતી નહોંતી. પછી એમ્બ્યુલન્સ બોલાવીને અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આપણે કોઈની ઉપર શંકા ન કરી શકીએ. પોલીસવાળાએ હજી અમને કીધું નથી કે કોણે કર્યું છે? કહે છે કે ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે. હવે મારું તો કહેવું એમ છે કે, ગમે તેટલા સારા પાડોશી હોય પણ એની ઉપર ભરોસો ન કરાય. આવું બની જાય પછી આપણું આખું મન ઉતરી જાય કોઈ પણ માણસ ઉપરથી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!