પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે કોંગ્રેસ પક્ષના સાંતલપુર જિલ્લા પંચાયત ઉમેદવાર પરબતભાઈ ભચાભાઈ આહીર અને પીપરાળા તાલુકા પંચાયત ઉમેદવાર વિરમભાઈ પાતાભાઈ આહીરને લોકો તરફથી જોરદાર જનસમર્થન મળ્યું હતું. ગામમાં યોજાયેલી મુલાકાત અને બેઠક દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી અને ઉમેદવારોને સમર્થન આપ્યું.

આ પ્રસંગે પરબતભાઈ આહીરે પોતાના સંબોધનમાં વિસ્તારના વિવિધ પ્રશ્નોને ઉજાગર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પીપરાળા અને આસપાસના ગામોના ખેડૂતો હજુ સુધી નર્મદા કેનાલના પાણીથી વંચિત છે, જેના કારણે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત ગામમાં ગટર લાઈનની સમસ્યા, શિક્ષણ સુવિધાઓનો અભાવ, ખરાબ રોડ-રસ્તા, આરોગ્ય સેવાઓમાં ખામી અને ગેસ સિલિન્ડરના વધતા ભાવ જેવા મુદ્દાઓ પણ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે.
ઉમેદવારોએ ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે જો તેઓને મત આપી વિજયી બનાવવામાં આવશે તો આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાથમિકતા સાથે કામ કરશે. તેમણે વિકાસને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાની બાંહેધરી પણ આપી હતી.
પીપરાળા ગામની જનતાએ પણ ઉમેદવારો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને સમર્થન આપ્યું હોવાનું જોવા મળ્યું, જેને કારણે ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
