રાધનપુર શહેરના વોર્ડ-1 હેઠળ આવેલા રેલવે કોલોનીના રિટાયર્ડ કોલોની વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા પ્રોટેક્શન દિવાલ (સુરક્ષા દીવાલ) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિવાલના કામ માટે JCB દ્વારા ફેન્સિંગ અને દીવાલનું કામ શરૂ થતાં સ્થાનિક રહીશોમાં મકાનોને નુકસાન થવાની તેમજ અવરજવર બંધ થવાની ભીતિ ફેલાઈ હતી.

સ્થાનિક રહીશોએ તાત્કાલિક વોર્ડ-1ના નગરસેવક જયાબેન ઠાકોરનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. માહિતી મળતા જ જયાબેન ઠાકોર સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોની લેખિત રજૂઆત સાથે રેલવે વિભાગના અધિકારીઓ તેમજ SDRM સમક્ષ રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે પ્રોટેક્શન દિવાલના કારણે વિસ્તારનો મુખ્ય અવરજવરનો માર્ગ પ્રભાવિત થશે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જનહિતને ધ્યાનમાં રાખી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
નગરસેવક જયાબેન ઠાકોરની રજૂઆત બાદ રેલવે વિભાગે સકારાત્મક અભિગમ દાખવી હાલ પૂરતું પ્રોટેક્શન દિવાલનું કામ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પ્રસંગે સ્થાનિક નાગરિકોએ તેમની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે નગરસેવક જયાબેન ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ રેલવે વિભાગે લોકોની રજૂઆતને માન આપી કામ અટકાવવાનો નિર્ણય કર્યો તે બદલ જયાબેન ઠાકોરે પણ રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
જયાબેન ઠાકોરે આ અવસરે સમાજસેવામાં જોડાયેલા કિશનભાઈ ઠાકોરનો પણ આભાર વ્યક્ત કરી વધુમાં વધુ યુવાનો જનહિતના કાર્યોમાં જોડાઈ સમાજ માટે કાર્ય કરે તેવી અપીલ કરી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
