પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સારવાર દરમિયાન એક યુવા ફોટોગ્રાફરના મોતને લઈને વિવાદ સર્જાયો છે. મૃતકના પરિવારજનોએ સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો કરતાં હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના નદી રોડ વિસ્તારના રહેવાસી અને વ્યવસાયે ફોટોગ્રાફર 36 વર્ષીય યોગેશભાઈ સોમાભાઈ જોષીને એપેન્ડિક્સની તકલીફને કારણે શહેરની ભાર્ગવ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર ઓપરેશન પૂર્વે કેથેટર લગાવવાની પ્રક્રિયા દરમિયાન તેમની તબિયત અચાનક ગંભીર બની ગઈ હતી, જેના કારણે તેઓ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા.
ત્યારબાદ વધુ સારવાર માટે તેમને મહેસાણા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે એપેન્ડિક્સનું ઓપરેશન શરૂ થાય તે પહેલાં જ સારવારમાં બેદરકારી થઈ હતી, જેના કારણે યોગેશભાઈનું મોત થયું. આ ઘટનાના વિરોધમાં પરિવારજનો અને સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
