રાધનપુર શહેરના વોર્ડ-૧ હેઠળ આવતી ઝમઝમ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી છેલ્લા બે દિવસથી રહીશો પરેશાન છે.
સોસાયટીના દરેક ઘરમાં વરસાદી પાણી સાથે નજીકની નહેર તથા તળાવનું પાણી પ્રવેશી જતાં મકાનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે.

રહીશો હવે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સાથે મકાનો ધરાશાયી થવાના ડર હેઠળ જીવી રહ્યા છે.
સોસાયટીના પ્રમુખશ્રી જમીલભાઈ, સેક્રેટરી ગુલશનભાઈ તથા સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર ન પહોંચતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ પરિસ્થિતિ અંગે જાણ થતાં વોર્ડ-૧ના કોંગ્રેસ નગરસેવક જયાબેન ઠાકોર પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
તેઓ સાથે માઇનોરિટી સેલના પ્રમુખશ્રી શેરખાન બલોચ, અંજુમન સ્કૂલ ટ્રસ્ટી અકરમખાન પઠાણ, કોંગ્રેસના સક્રિય કાર્યકર ભૂરેખાન બલોચ તથા સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા.
કોંગ્રેસના આગેવાનોએ તંત્રની બેદરકારી અંગે નગરપાલિકા પ્રમુખ તથા કર્મચારીઓને ફોન પર ચેતવ્યા હતા.
સાથે જ તાત્કાલિક JCB અને જરૂરી સાધનો વડે પાણી નિકાલ શરૂ કરાવવા દબાણ કર્યું હતું.
સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને પાણી નિકાલ કરી રાહત આપે તેમજ ભવિષ્યમાં આવો ભોગવટો ન કરવો પડે તે માટે કાયમી વ્યવસ્થા કરે.
નગરપાલિકા હવે તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરે છે કે નહીં, તે અંગે રહીશોમાં આતુરતા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
