બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિથી ફરી એકવાર ગામ તળ જળમગ્ન બન્યું છે.
ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને મકાન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું.

સમગ્ર ગામના પરિવારો હાલ શાળા સહિતના સલામત સ્થળોએ આશ્રય લેવા મજબૂર બન્યા છે.
આ પરિસ્થિતિમાં બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોરે મોરીખા ગામની મુલાકાત લીધી હતી.
તેમણે શાળામાં રહી રહેલા તમામ પરિવારોની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો.
બાદમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ નિરીક્ષણ પણ કર્યું.
શિવ મંદિરની પાછળ બનાવવામાં આવેલી દિવાલ તોડી પાણીનો પ્રવાહ સરળ બનાવવાની જવાબદારી ગામના યુવાનોને સોંપવામાં આવી.
ગામના સરપંચ, યુવાનો તેમજ કેપી ગઢવી સાહેબની હાજરીમાં સાંસદશ્રીએ આશરે પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળ પર જઈને હાલત નિહાળી.
મશીનરી જેમ કે જેસીબી વગેરે પાણી ભરાવાને કારણે ગામમાં પહોંચી ન શકતા, યુવાનોની મદદથી તાત્કાલિક ઉપાય કરવાના પ્રયત્નો હાથ ધરાયા.
આ દરમિયાન ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અત્યાર સુધી વહીવટી તંત્રએ કોઈ મુલાકાત લીધી નથી અને ન તો પાણીના નિકાલ માટે પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે.
પરિણામે ગામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
