રાધનપુર તાલુકાના લોટીયા ગામે રૂ. એક કરોડ સાઠ લાખના ખર્ચે બનેલો આર.સી.સી. રોડ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ગામજનો દ્વારા આ રોડના નિર્માણ અને તેની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ગામજનોના જણાવ્યા અનુસાર, રોડ બનાવવામાં ટેકનિકલ ધોરણોનું પાલન થતું નથી.

રોડનું કામ પૂરું થયા બાદ તેની યોગ્ય રીતે દેખરેખ કે જતન કરવામાં આવતું નથી. 

રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને અનેક જગ્યાએ રોડની પ્લેટો ખોલી નાખવામાં આવતા રોડ છૂટો પડી માટીમાં પરિવર્તિત થઈ રહ્યો છે.

ઇજનેરોની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની મનમાની

આ મામલે રાધનપુર પેટા પંચાયતના ઇજનેરો તપાસ કરવા માટે આગળ આવવા તૈયાર નથી, જ્યારે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની રીતે કામ કરી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, એસ.ઓ. રોહિતભાઈના હાથ હેઠળ આ કામ ચાલી રહ્યું છે, છતાં તેમની દેખરેખ અને તાકીદની કાર્યવાહીનો સંપૂર્ણ અભાવ છે.

પરિણામે રોડના ગુણવત્તાયુક્ત નિર્માણ અંગે શંકા ઉભી થઈ છે.

અગાઉના પ્રોજેક્ટમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો

ગામજનો યાદ અપાવે છે કે આ પહેલાં ભીલોટથી રંગપુરા રોડના નિર્માણ દરમ્યાન “સરસ્વતી એસોસિએટ” દ્વારા કરવામાં આવેલ કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હતો.

નાળા અને રોડ બંનેમાં ખામીઓ જોવા મળી હતી.

તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેરને ગામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તપાસ કર્યા વગર જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું.

આથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગઠબંધન હોવાનો શંકાસ્પદ માહોલ ઉભો થયો છે.

ગામ લોકો હવે સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે કે આવા આર.સી.સી. રોડના પ્રોજેક્ટ માટે નવી નીતિ ઘડવામાં આવે, જેમાં કામની ગુણવત્તા સંબંધિત ઇજનેરી રિપોર્ટ સંતોષકારક જણાય ત્યાર બાદ જ પેમેન્ટ કરવામાં આવે.

સાથે જ, જો કોઈ અધિકારી ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય અથવા કોન્ટ્રાક્ટરની મનમાનીને સહકાર આપે, તો તેમની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે.

ગામજનોની ચેતવણી

ગામજનો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે જો લોટીયા ગામના રોડ સંબંધિત ભ્રષ્ટાચાર મુદ્દે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં નહીં આવે તો તેઓ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરશે અને પેમેન્ટ અટકાવવા માટે માગણી કરશે.

સાથે જ, તેઓ જિલ્લા વિકાસ અધિકારી અને લોકાયુક્ત સમક્ષ પણ ફરિયાદ દાખલ કરવાની તૈયારીમાં છે.

ગામજનો કહે છે કે સરકારી ફંડમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થવા છતાં જો ગ્રામ્ય વિસ્તારોમાં રોડ જેવી મૂળભૂત સુવિધાઓ ગુણવત્તાયુક્ત ન મળે તો તે સામાન્ય જનતાના વિશ્વાસ સાથેનો ભંગ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!