રાધનપુર શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં — પાણી, રસ્તા અને લાઈટના પ્રશ્નો યથાવત
રાધનપુર નગરપાલિકાના વોર્ડ-૭માં આવેલ શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત બની ગયા છે. સોસાયટીમાં વસવાટ કરતા આશરે ૧૦૦ જેટલા લોકો પીવાના પાણીના અભાવે હેરાન પરેશાન છે, જ્યારે રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
રાધનપુર નગરપાલિકામાં હાલ આંતરિક અસંતોષનો માહોલ સર્જાયો છે.
વોર્ડ-૧ની નગરસેવક જયાબેન ઠાકોરે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રજાની વચ્ચે દેખાતા જ નથી અને કોઈ પ્રશ્નો પર જવાબ આપવા તૈયાર નથી.
જયાબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ગમે ત્યારે રજુઆત કરવા જઈએ, ક્યારેય હાજર હોતા નથી. એમના વોર્ડમાં પ્રશ્નો છે, અન્ય વોર્ડોમાં શું હાલત હશે તે વિચારી શકાય. કોઈને પ્રજાના હિતમાં રસ નથી, સૌને પોતાના હિતની જ ચિંતા છે.”
તેમણે આગળ કહ્યું કે જો પાલિકા પ્રમુખ આગામી દિવસોમાં જાહેરમાં હાજર નહીં રહે તો પ્રજાને સાથે રાખીને પાલિકાનું વિસર્જન કરવામાં આવશે. “અમે મહિલા પાલિકા પ્રમુખને રૂબરૂ મળવા જઈએ છીએ પરંતુ તેઓ ક્યારેય હાજર હોતા નથી. જો આવું જ ચાલતું રહેશે તો અમે એમના ઘરે જઈને તેમને પાલિકા સુધી તેડી લાવીશું. પ્રજાના વોટ લઇ હવે એમને ક્યાં સુધી સંતાઈ શકાય?” એમ પણ તેમણે તીખી ટિપ્પણી કરી.
સ્થાનિક નાગરિકોએ પણ નગરપાલિકાની નિષ્ક્રિયતા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. શહેરમાં નિકાશ, પાણી પુરવઠો અને રોડ જેવી સમસ્યાઓ અંગે સતત રજૂઆત થતી હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી હાથ ધરાતી નથી.
જાહેર જનતામાં હવે એવી માંગ ઉઠી રહી છે કે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર રીતે હાજર રહી નાગરિકોના પ્રશ્નોનો સામનો કરે. જો આવું ન થાય તો આગામી દિવસોમાં પ્રજાનો આક્રોશ વધવાની શક્યતા છે.
રહેવાસીઓના જણાવ્યા અનુસાર, “સરકારશ્રીની ‘નલ સે જલ’ યોજના માત્ર કાગળ પર જ સીમિત રહી છે. હકીકતમાં અમને એક ટીપું પાણી પણ મળી રહ્યું નથી.” આ સાથે જ સોસાયટીમાં જવા માટે યોગ્ય માર્ગ નથી અને સ્ટ્રીટ લાઈટ ન હોવાથી રાત્રે ખાસ કરીને મહિલાઓને અવરજવર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બાજુની સોસાયટીમાં જવા માટેનો રસ્તો પણ કાંટાળા બાવળના ઝાડોથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે ધીરજનો પ્યાલો છલકાયો છે.
રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે, સોસાયટીના ભૂગર્ભ ગટરમાંથી લાંબા સમયથી પાણી લીકેજ થતું હોવાથી આસપાસ દુર્ગંધ, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. “આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે, છતાં તંત્ર આંખ આડે કાન કરી રહ્યું છે,” એમ એક રહેવાસીએ જણાવ્યું.
આથી રહેવાસીઓએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખશ્રીને તાત્કાલિક સાફ–સફાઈ, દવાનો છંટકાવ, રસ્તા–લાઈટની સુવિધા અને પાણી પુરવઠાની કાયમી વ્યવસ્થા કરવા લેખિત રજૂઆત કરી છે.
જો પ્રશ્નોનું ટૂંક સમયમાં નિવારણ નહીં થાય તો રહેવાસીઓએ નગરપાલિકા વિરુદ્ધ ઘેરાવો, ધરણા અને આંદોલન જેવા કાર્યક્રમો આપવાની ચેતવણી પણ આપી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ.







