સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામની નર્મદા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે.







કેનાલના અનેક વિસ્તારોમાં તૂટફૂટ, ગાદ ભરાઈ જવું, લીકેજ અને લાંબા સમયથી સફાઈ ન થવા જેવી ગંભીર ખામીઓ ખુલ્લેઆમ જોવા મળી રહી છે.
પરિણામે રવિ સિઝનના બે-ત્રણ અઠવાડિયા પહેલા જ ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે કેનાલનું પાણી તો જીંદગી છે, અને આવો મહત્વનો સિઝન શરૂ થવા જ રહ્યો છે ત્યારે પણ તંત્રની બેદરકારીને કારણે પાણીનું વહન યોગ્ય રીતે થઈ રહ્યું નથી.
મઢુત્રા ગામના ખેડૂતોએ તંત્રને અનુરોધ કર્યો છે કે કેનાલની તાત્કાલિક રીતે મરામત કરવામાં આવે નહિ તો રવિ પાકને સિંચાઈનું ગંભીર સંકટ ઊભું થશે.
ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાંક મહિનાથી કેનાલમાં ગાદની સફાઈ થઈ નથી તેમજ તૂટી ગયેલા ભાગોને ઠીક કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. કેટલાક સ્થળોએ દીવાલ તૂટી જતાં પાણીનો વહેંચાણ પણ અવરોધિત થયો છે. “જો આ સિઝનમાં પાણી નહીં મળે તો અમારો આખો પાક બગડી જશે,” એમ ઘણા ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે.
સ્થાનિકોની માગ છે કે નર્મદા વિભાગ તાત્કાલિક નિરીક્ષણ કરીને તૂટી ગયેલા ભાગોની રિપેરિંગ, ગાદની સફાઈ અને નિયમિત મેન્ટેનન્સની પ્રક્રિયા શરૂ કરે. નહીં તો સાંતલપુર વિસ્તારના અનેક ગામોના ખેડૂતોને આવનારે દિવસોમાં ગંભીર નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
મઢુત્રા ગામની નર્મદા કેનાલની બિસ્માર હાલત તંત્રની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કરે છે,
અને હવે તમામની નજર તંત્રના તાત્કાલિક નિર્ણય પર ટકેલી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
