પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ખુલ્લેઆમ ચોરી થતી હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ પાણીનો ઉપયોગ સરસ્વતી એસોસિયેટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
મહત્વની વાત એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના સરકારી સિંચાઈના પાણીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે જાતે કરવાની હોય છે, છતાં પોતાની જવાબદારીમાંથી બચવા સરકારી પાણીની ચોરી કરવામાં આવી રહી છે.
નર્મદા વિભાગ ખેડૂતોને ૨૪ કલાક સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવે છે, પરંતુ કેનાલમાંથી થતી આ બેફામ પાણીચોરીને કારણે આજુબાજુના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ઉભી થઈ છે. પાણીની અછત સર્જાતાં ખેતી પર સીધી અસર થવાની શક્યતા છે.
ચોંકાવનારી બાબત એ છે કે, ખુલ્લેઆમ પાણીચોરી થતી હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.
હવે જોવું રહ્યું કે નર્મદા વિભાગ આ મામલે ક્યારે અને કેવા પગલાં ભરે છે કે પછી ખેડૂતોના હિતોને અવગણવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
