પુસ્તકમાં લેખક લાભુ દેસાઈએ “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી છે: સચિવ શ્રી રમેશ મેરજા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહા મેળાના પ્રથમ દિવસે “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
ભાદરવી પૂનમના મહામેળાનો પાવન પ્રારંભ થઈ ચૂક્યો છે, અરવલ્લીની ગિરિમાળાઓ “બોલ માડી અંબે,જય જય અંબે”ના જયઘોષથી ગૂંજી ઉઠી છે. મહામેળાના પ્રથમ દિવસે આરાસુરના આંગણે મા અંબાના સાંનિધ્યમાં “અક્ષતમ્ પબ્લિકેશન” દ્વારા “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ ધરાવતું અનોખું પુસ્તક “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” તૈયાર કરવામાં આવ્યું છે.ભાદરવી પૂનમ મહામેળા ઉપર પ્રકાશિત પુસ્તક બાબતે ઉપસ્થિત સર્વેએ લેખક લાભુ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા.
“આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકમાં મા અંબાની આરાધના, શક્તિપીઠની શ્રદ્ધા, શ્રીયંત્ર, ભાદરવી પૂનમ થીમ સોંગ, સરકાર દ્વારા થતી વ્યવસ્થાઓ, સંઘો, સેવા-કૅમ્પો જેવા રસપ્રદ વિષયો આવરી લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રકાશનના પ્રસંગે લેખક દ્વારા દિપમ્ ફાઉન્ડેશન, ભાવનગરના દિપ જોશી તથા સર્જકનો સંવાદ પ્રોડક્શન હાઉસના પરેશ લિમ્બાચીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ પુસ્તક ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવતા માઈભક્તોની શ્રદ્ધામાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત શુંબે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિક મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

