જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરમાં બે સ્થળે વિશેષ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી છે. આ કુંડ વિશાલ હોટલની પાછળ પ્લોટ નં.98 અને લાલપુર બાયપાસ પર સરદાર રિવેરા પાસે સ્થાપિત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી અને પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ નાગરિકોને કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. નદી, તળાવ કે દરિયા જેવા કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવાથી દૂર રહેવા સૂચના આપી છે. આ નિર્ણય પાછળના બે મુખ્ય કારણો છે. પ્રથમ, કુદરતી જળસ્રોતમાં વિસર્જન દરમિયાન ઊંડા પાણીમાં જવાથી કે લપસી પડવાથી જીવલેણ અકસ્માત થવાનું જોખમ રહે છે. બીજું, પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ જળચર જીવો અને સમગ્ર ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે. મહાનગરપાલિકાએ બનાવેલા કૃત્રિમ કુંડથી પાણીનું પ્રદૂષણ અટકશે અને નાગરિકોની સુરક્ષા જળવાશે. તંત્રે નાગરિકોને આ અપીલનું પાલન કરી, પર્યાવરણની સુરક્ષા અને પોતાના જીવનની રક્ષા કરવા અનુરોધ કર્યો છે.
