રાપર શહેરના ગેલીવાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ છેલ્લા બે મહિનાથી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
પાધરદેવકી મંદિરવાળી શેરી પાસે આવેલા બે ગટર ચેમ્બરમાંથી સતત દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ગટરમાંથી નીકળતા દૂષિત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
બાળકોમાં ચેપજન્ય રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ તથા રોજિંદા અવરજવર કરનાર રહેવાસીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક લોકોએ વારંવાર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આ અંગે જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
આ પરિસ્થિતિને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ તથા તાલુકા કોંગ્રેસ અગ્રણીઓએ કલેક્ટર તેમજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
કોંગ્રેસ અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તંત્ર ગફલત દાખવશે તો રહેવાસીઓ સાથે મળીને આંદોલન કરવા મજબૂર થવું પડશે.
રાપર શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈ હવે તંત્ર કેટલું ઝડપથી પગલાં લે છે તે જોવું રહ્યું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
