બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઇ વિસ્તારમાં ખાનખનીજ વિભાગ દ્વારા સરકારના આદેશ અનુસાર ચેકપોસ્ટ ફાળવવામાં આવી છે,

પરંતુ આ ચેકપોસ્ટ પર થતી કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થળ પરની હકીકત મુજબ ખાનખનીજ અધિકારી સરકારી વાહન એક જ જગ્યાએ ઉભું રાખી માત્ર રોયલ્ટી પાસની ચકાસણી કરતા હોવાનું જોવા મળી રહ્યું છે.

ખાણખનિજ વહન કરતી ટ્રકો અને ડમ્પરોમાં અન્ડરલોડ કે ઓવરલોડ બાબતે કોઈપણ પ્રકારની તોલમાપ અથવા વજન ચકાસણી થતી નથી. પરિણામે અન્ડરલોડ કાયદાની અસરકારક અમલવારી થાય છે કે નહીં તે બાબતે લોકોમાં શંકા સેવાઈ રહી છે. નિયમોના ભંગ થવાથી સરકારને લાખો રૂપિયાનું રાજસ્વ નુકસાન થવાની શક્યતા પણ નકારવામાં આવી નથી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે નિયમસર દરેક વાહનની ચકાસણી થવી જોઈએ, પરંતુ ચેકપોસ્ટ હોવા છતાં મોટા ભાગના વાહનો નિર્વિઘ્ન પસાર થઈ રહ્યા છે. માત્ર દસ્તાવેજોની જ ચકાસણી થતી હોવાના કારણે ગેરકાયદેસર ખનિજ વહનને પ્રોત્સાહન મળતું હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.

આ સ્થિતિ માત્ર કાયદાની અવગણના નહીં પરંતુ પ્રાશાસન પર જનવિશ્વાસને પણ ઘાટ પહોંચાડે છે. સરકાર દ્વારા બનાવાયેલા અન્ડરલોડ અને ઓવરલોડ નિયંત્રણના નિયમો જમીન પર અમલમાં આવે તે માટે ચેકપોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ હાલની કામગીરી જોઈને એવું લાગી રહ્યું છે કે નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે.

આ મામલે તાલુકા તથા જિલ્લાસ્તરના ઉપરિ અધિકારીઓએ તાત્કાલિક દખલ આપી સ્થળ પર તપાસ હાથ ધરવી જોઈએ તેવી લોક માંગ તેજ બની છે. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી, જો કોઈ બેદરકારી કે નિયમ ભંગ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

જો સમયસર તપાસ અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખનિજ માફિયાઓને વધુ છૂટ મળે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. જનહિત અને સરકારના રાજસ્વની રક્ષા માટે અન્ડરલોડ કાયદાનો કડક અમલ કરવો અનિવાર્ય હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

The Gujarat Live News અહેવાલ ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!