કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણોના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના રહેવાસી નાથાભાઈ ભચાભાઈ આહીરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
રજુઆત મુજબ, ગ્રામપંચાયતના ઠરાવ બાદ સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવેલી અંદાજે ત્રણ એકર જમીનમાંથી માત્ર એક ભાગમાં જ દવાખાનું નિર્માણ થયું છે. જ્યારે બાકી રહેલી જમીન પર અસામાજિક તત્વોએ પાકા બાંધકામ કરી ગેરકાયદેસર દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે નેશનલ હાઇવે નજીક અગાઉ તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંનો કાટમાળ હજી સુધી હટાવવામાં આવ્યો નથી. જેના કારણે ફરીથી દબાણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય આડેસરથી વરણું રોડ પર પણ સરકારી જમીન પર ગેરકાયદેસર પ્લોટિંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અંદાજે 10,450 ચોરસ ફૂટ વિસ્તારમાં ખૂંટા લગાવી દબાણ કરાયું હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર મામલે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા તથા સરકારી જમીનને મુક્ત કરાવવા નાથાભાઈ આહીરે તંત્ર પાસે જોરદાર માંગણી કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
